'અભિવ્યક્તિ' વાર્તાસંગ્રહમાં કુલ ૨૨ વાર્તાઓ છે. વાર્તાના લેખક સુભાષચંદ્ર ચુનીલાલ ઉપાધ્યાય મૂળે કવિજીવ છે. એમણે વાર્તાઓ કરતાં વધુ કાવ્યો લખ્યાં છે, એટલે દરેક વાર્તાઓમાં એમની કલમમાંથી પ્રગટતો શબ્દ કવિસ્પર્શ પામીને વાર્તાને લાગણીથી ભરી ભરી બનાવે છે. સંગ્રહની દરેક વાર્તાની ઘટના કોઈને કોઈ વાસ્તવની ભૂમિ પર મંડાયેલી છે. વિવિધ ઘટનાપ્રેરિત વિષયવસ્તુને લેખકે વાર્તારૂપ આપવા પ્રયત્ન કર્યો છે.
સંગ્રહની પ્રથમ વાર્તા 'ક્ષમા' માં આરંભે શ્વેત પ્રત્યે ભારોભાર અણગમો વ્યક્ત કરતી નાયિકા શ્વેતની હકીકત જાણી પીગળી જાય છે. તે શ્વેતને ખરા હૃદયથી ક્ષમા આપે છે. અહીં પાત્રોની વફાદારી વાર્તાનો વિશેષ બને છે. 'અમી-ઝરા' માં એક શિક્ષક સ્ત્રી અમી રઘુદાદાનું જીવન કેવી રીતે સુધારે છે તેનું નિરૂપણ થયું છે. 'સ્નેહસ્મૃતિ' નાં પ્રાકૃતિક વર્ણનો ગમ્ય છે તો 'પ્રેમપત્ર' માં ગેરસમજણ અને શંકા કેવાં પરિણામો નોતરે છે એનું આલેખન છે. 'શ્રદ્ધા...જનનીની જોડ' માં સંબંધોના આટાપાટા ને લાગણીની વાત છે. 'ઋણ' માં ધનિયાની ખુમારી અને શેઠના મૃત્યુ પછી પણ એના પુત્ર માટે વફાદાર નોકર તરીકેની ફરજ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. 'મંગળસૂત્ર' માં અન્યેષ અને અન્ય મિત્રોનું સ્વાર્પણ તથા અન્યેષની માતા પ્રત્યેની પુત્રની ફરજ દર્શાવી લેખકે પ્રેરક દૃષ્ટાંત આપ્યું છે. 'વિદાય' માં ચિરાગની વિદાય અને માતા સાથેનો અનુબંધ સંબંધોનું ઉમદા ચિત્ર ખડું કરે છે. 'ચુકાદો' માં વાર્તાનાયક આર્જવ અને આસ્થાનાં લગ્ન-છૂટાછેડાની વાત ને અંતે બહેન-બનેવી તરફથી વ્યક્ત થતો લાગણીનો સ્રોત સંબંધોની ઊંચાઈ સિદ્ધ કરે છે. 'અનોખો આરંભ'માં સ્કૂલનું વાતાવરણ ને વાલીઓની માનસિકતા તેમજ બાળકોની ચહલ પહલને તાદ્રશ કર્યાં છે. 'આહુતી' વાર્તામાં ડો. આહુતીની પોતાના સસરાને કિડની આપવાની વાત અને વર્તાંતે સસરાન